

રણમાં ખીલ્યું ગુલાબ ભાગ ૬-ડૉ શરદ ઠાકર
ગુજરાતી ભાષામાં ડો. શરદ ઠાકરની કલમનું મૂલ્ય શરદ ઋતુ જેવું છે. એ પોતાની કલમ દ્વારા રણમાં ગુલાબ ખીલવે છે. સ્વભાવ અને કલમ બંને રીતે આ સર્જક ગુલાબીપણાને સાર્થક કરે છે. વર્તમાનપત્રો દ્વારા તેઓ હજારો વાચકોના હૃદય સુધી પહોંચ્યા છે. તેમની કલમમાં સામાન્ય વાચકને પણ શબ્દ ભણી દોરવાની અનન્ય ઊર્જા છે. કોઈ પણ વાર્તાને તેઓ રસપ્રદ શૈલીમાં રજૂ કરે છે. તેમના શબ્દોને ક્યારેય ઉંમરની મર્યાદા નડી નથી. સ્કૂલ કોલેજના છોકરાથી લઈને પ્રૌઢ વ્યક્તિઓ સુધીના તેમની કલમના ચાહક રહ્યા છે. તેમણે પોતાની કલમ દ્વારા એક આગવો વાચકવર્ગ ઊભો કર્યાં છે – તેમણે પોતીકું ગુલાબ ખીલવ્યું છે. છેક ૧૯૯૩થી આ ગુલાબ તેઓ ઉછેરી રહ્યા છે અને આજે પણ એ એટલું જ તાજું છે – એટલું જ ફ્રેશ છે.
લેખના શીર્ષક તરીકે કવિતાની પંક્તિઓ તેમની મુખ્ય ખાસિયત રહી છે. પોતાની બળુકી સર્જકતાથી બે પંક્તિના શેરને સાર્થક કરતું એક આખું વાર્તાવિશ્વ તેઓ ઊભું કરે છે.
અનેક પુરસ્કારથી સન્માનિત આ સર્જક પોતે ગાયનેકોલોજિસ્ટ છે. જેટલા પ્રેમથી તે પોતાના દર્દીઓની સારવાર કરે છે – નિદાન કરે છે, એટલી જ ચીવટાઈથી તે વાર્તાનું પણ નિદાન કરે છે. એટલા માટે જ તેમની કલમમાંથી સરતી કહાણીઓ સ્વસ્થ હોય છે. સ્વસ્થ કહાણીઓના શરદ ઋતુ જેવા સર્જક ડો. શરદ ઠાકરના આ પુસ્તકમાંથી પણ તમે ગુલાબ જેવી જ હળવાસ, સુગંધ અને તાજગી અનુભવી શકશો.
• અનિલ ચાવડા
Data sheet